વિદેશમાં ભારતીયોની હત્યાના વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. કેનેડામાં આ મહિને બે ભારતીયોની હત્યા કરી દેવામાં આવી હતી. આફ્રિકન દેશ કેન્યામાં પણ ભારતીયોના અપહરણ અને હત્યાના મામલા સામે આવતા રહે છે. ત્યારે હવે વધુ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
મૂળ ખંભાળિયા તાલુકાના દાતા ગામનો યુવાન કેન્યામાં સ્થાયી થયો હતો, જેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ખંભાળિયાના દાતાનો કેતન હિંમતલાલ શાહ નામનો યુવાન કેન્યામાં સ્થાયી થયો હતો. અહીં તે પોતાની મોબાઈલની દુકાન ચલાવતો હતો. આજે જયારે તે પોતાની દુકાનમાં હતો, ત્યારે અજાણ્યા બાઈક સવારે આવીને તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. કેતનના મૃત્યુના સમાચાર મળ્યા બાદથી પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
આ અંગે હજુ સુધી ભારતીય દૂતાવાસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જણાવી દઈએ કે અગાઉ આ વર્ષે જુલાઈમાં કેન્યામાં બાલાજી ટેલીફિલ્મ્સના પૂર્વ સીઈઓ ઝુલ્ફીકાર અહમદ ખાન અને તેમના મિત્ર મોહમ્મદ ઝૈદ સમી કિડવાઈનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને ઓક્ટોબર મહિનામાં તેમની હત્યાની ખબર સામે આવી હતી. તેઓ કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોના ડિજિટલ કેમ્પેઈન ટીમનો ભાગ હતા. તેમની કેન્યાના આતંકીઓએ ઘાતકી હત્યા કરી દીધી હતી.